લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીપંચ, સીબીઆઈ, ન્યાયતંત્ર, જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટી, કેગ વગેરેની તપાસ અને ભલામણોમાં નાગરિકને ભરોસો પડે એટલી તટસ્થતા હોવી જોઈએ કે નહીં? સરકાર બદલાય એટલે બાકી બધી એજન્સી અને કાર્યક્ષેત્રોની માનસિકતા પણ બદલાઈ જવી જોઈએ? આ સવાલો મૂળભૂત છે. આપણે 'વિશ્વાસ' અને 'અવિશ્વાસ'ની વચ્ચે હાલકડોલક થતી નૌકા જેવા સમયમાં છીએ.
આજકાલ સીબીઆઈ ચર્ચામાં છે. હોવી પણ જોઈએ. જો આપણે લોકશાહી માહોલમાં શ્વાસ લેવાનો દાવો કરતા હોઈએ તો કાયદો અને વ્યવસ્થા, અમલીકરણ અને ઇરાદાઓ, ન્યાય અને અન્યાય, પ્રજા-પ્રતિનિધિ અને પોલીસ : આ બધા મુદ્દા એવા છે કે તેનું ધારદાર મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. એવું ન થાય તો એ સંસ્થાઓ તેની જવાબદારીને બદલે બીજું બધું હંકારતી થઈ જાય અથવા તો તેના પરનો ભરોસો ખલાસ થઈ જાય : આ બંને વલણો સ્વાધીન લોકશાહી સમાજને માટે આત્મઘાતી પુરવાર થાય છે.
સીબીઆઈની તરફેણ અને વિરોધ કરનારી છાવણીઓ ગુજરાત સહિત બીજે ઊભી થઈ તેનાં ઘણાં કારણો છે, પણ જો મૂળ કારણને શોધી કાઢીએ તો સીબીઆઈના ઇરાદા, કાર્યપïતિ અને વિશ્વસનીયતા ત્રણેનો અંદાજ મળી રહે, અને તેનેય આત્મપરીક્ષણનો મોકો મળે. આમ તો, આ સીબીઆઈ માત્ર તપાસ કરનારી કેન્દ્રીય સંસ્થા છે.
તેના નામમાં જ તેનું કાર્યક્ષેત્ર આવી જાય છે કે તેણે માત્ર તપાસ કરવી, અને તપાસ પછી શું થઈ શકે તેનાં તારણ-જોગવાઈ બતાવવાં, પગલાં ભરવાં. આ 'તપાસ' શબ્દ ભારે અટપટો છે. કોની અને કેવી તપાસ કરવી? તપાસ કર્યા પછી શું? ખરેખરી તપાસ કઈ રીતે ગણવી? તેના જવાબ મેળવવામાં આવે તો માથું ખંજવાળવું પડે એવી તેની તવારીખ છે.
સીબીઆઈનો આજકાલ ઊહાપોહ છે એટલે તેની જ વાત કરીએ. તેણે અગાઉ પણ ઘણા કિસ્સાઓમાં 'ઊંડી તપાસ' કરી હતી. કેટલાંક વર્ષ પાછળ જઈએ અને પોલીસ તેમજ સીબીઆઈએ હાથ ધરેલા કિસ્સાનો અંદાજ મેળવીએ. ૧૮ નવેમ્બર ૧૯૭૮ના ઇન્ટેલજિન્સ બ્યૂરોના અહેવાલમાં કેટલાક ગુનેગારો, તેના ગુનાઓ અને તેના માટેની કારવાઈની વિગતો છે.
'તપાસ' થઈ ગયા પછીની એવી તારવણી છે કે એઆઈસીસી (કા‹ગ્રેસ)નાં પાંચ બેંન્ક એકાઉન્ટ હતાં, તેમાંથી સેલ્ફ, કોન્ફિડન્ટ્સ અને ફર્મ્સનાં અસ્તિત્વ વિનાના નામે ઉપાડી લેવાયાં હતાં. તેની તપાસ સીબીઆઈએ કરી. એફઆઈઆર લખાઈ અને લાગતાવળગતા નેતાઓ (કે.એલ. ભાટિયા, સુધીર સરિન, યશપાલ કપૂર વગેરેને) જણાવવામાં આવ્યું.
મુંબઈમાં ફ્લડ એન્ડ ફેમિન રિલીફ કમિટીના ટ્રસ્ટીઓના નામે એક ખાતું હતું, તેમાંથી કેટલાક સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના માટે નાણાં ઉપાડાયાં અને ૨૧ લાખ રૂપિયા ત્રિપુરા, મુંબઈ, ઓરિસા, ગુજરાત, ઉત્તર પ્રદેશની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને ફાળવાયાં. બીજા અન્યોને પણ દાન અપાયાનો તેમાં નિર્દેશ કરાયો.
ઇન્કમટેક્સ વિભાગને જણાવાયું કે નેહરુ કેન્દ્રીય નિધિ માટે ત્રણ કરોડ એકઠા કરાયા છે. સીબીઆઈની ત્રીજી તપાસ સ્વરાજ પાલ અને અમીચંદ પ્યારેલાલની કંપની માટેની રહી. પી.સી. શેઠી (પૂર્વ કેન્દ્રીય પ્રધાન)ની રૂ. ૮,૯૧,૮૩,૧૨૩ની નોંધ લેવાઈ. નવ ઔદ્યોગિક કંપનીઓની ઇન્કમટેક્સની બાબતો પણ સીબીઆઈના તપાસ ક્ષેત્રમાં આવી. સીબીઆઈની આ તપાસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બંસીલાલની આર્થિક ગેરરીતિઓના ૧,૧૫૧ કિસ્સા સીબીઆઈની નજરમાં આવ્યા અને તેમાં ૧,૧૨, ૮૧, ૮૫૦૦૦ રૂપિયાની લેવડદેવડ બહાર આવી.
ગૃહ ખાતાના આ અહેવાલમાં રાજકીય મહાનુભાવોના બ‹ન્કોમાંથી નાણાં ઉપાડ્યાની વિગતો, શંકાશીલ નકલી ફર્મ્સની યાદી વગેરે વિગતો પણ અપાઈ છે. આ ગંભીર ગુનાખોરીના અહેવાલ પછી સીબીઆઈએ શું કર્યું? તે જાણવું રસપ્રદ થઈ પડશે. ૧૪ આ‹ગસ્ટ, ૧૯૭૭ના રોજ પી.સી. શેઠી, આર.કે. ધવન, યશપાલ કપૂરની સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો.
મહિનાઓ સુધી તે ચાલ્યો. પછી ૧૪ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ કેન્દ્રમાં સરકાર બદલાઈ. શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. ૨૪ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ સીબીઆઈએ અદાલત સમક્ષ નવું નિવેદન કર્યું અને તેમાં આરોપીઓ સામેના કેટલાક આરોપો પાછા ખેંચવા માટેના 'તાર્કિક કારણો' રજૂ થયાં. તેમાં જણાવાયું કે ત્રણ કરોડ રૂપિયા ઉપાડીને જે કોઈ અસલી-નકલીને ચૂકવાયાં તેને માટે પી.સી. શેઠી જવાબદાર નથી.
બીજાને પણ શંકાના ઘેરાવમાંથી મુકત કરી દેવાયા. કેટલાક પુરાવા 'ભૂલથી' નોંધાયાની ખેલદિલી વ્યક્ત કરવામાં આવી! આમ આખું પ્રકરણ વિંટાળી દેવાયું. જે આરોપીઓ હતા તે મોટા હોદ્દા મેળવી શકયા. શું સીબીઆઈએ પોતે જ ગણાવેલી અપરાધી બાબતો માટે કાર્યરત રહેવું જોઈતું નહોતું?
આ એક જ ઉદાહરણ આપણી એજન્સીઓની બદલાતી રાજકીય પરિસ્થિતિનું સૂચક છે. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીપંચ, સીબીઆઈ, ન્યાયતંત્ર, જોઈન્ટ પાર્લમેન્ટરી કમિટી, કેગ વગેરેની તપાસ અને ભલામણોમાં નાગરિકને ભરોસો પડે એટલી તટસ્થતા હોવી જોઈએ કે નહીં? સરકાર બદલાય એટલે બાકી બધી એજન્સી અને કાર્યક્ષેત્રોની માનસિકતા પણ બદલાઈ જવી જોઈએ? સીબીઆઈએ ૧૯૭૫-૭૬માં જે ઢગલાબંધ તપાસો કરીને તે માટે મુકદ્દમા સુધીની કાર્યવાહી થઈ હતી તેમાં એકાએક બાકોરાં કેમ પડ્યાં? કેમ ગંભીર ગણાવાયેલાં આરોપનામાં પાછાં ખેંચી લેવાયાં? આ સવાલો મૂળભૂત છે.
આપણે 'વિશ્વાસ' અને 'અવિશ્વાસ'ની વચ્ચે હાલકડોલક થતી નૌકા જેવા સમયમાં છીએ. સીબીઆઈ પણ થોડીવાર માટે સિંહબહાદુર થવાનો ખેલ કરવાની ભૂલો ના કરે અને વિશ્વાસ પેદા કરે તો કેવું સારું? તેને માટે કોઈ એક સરકાર કે એક પક્ષના કઠપૂતળાં થવાનું પોસાય તેમ નથી, આપઘાતનો જ તે રસ્તો છે.
વિષ્ણુ પંડ્યા-
લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
No comments:
Post a Comment