ગાયના દૂધના તાજા મોળા દહીંની છાશ પીવાથી ઉનાળો ખમવાની શક્તિ વધે છે
ચૈત્ર મહિનો બેસતો એટલે અમારાં ઘણાં ગામડાંમાં છાશની પરબ ખૂલતી. નવાઈની વાત એ બની કે ૨૦૦૭માં ન્યૂ યોર્ક જવાનું થયું તો 'ન્યૂ યોર્ક સ્પિરીટ' નામના મેગેઝિને તેના ઉનાળુ અંકમાં દહીં અને છાશનો મહિમા ગાયો હતો. ગાયના દહીંમાં પોષક બેક્ટેરિયા હોય છે. નરણે કોઠે પીવાથી તમારી રોગપ્રતિકાર શક્તિ અને ઉનાળો ખમવાની શક્તિ વધે છે. મહર્ષિ મહેશ યોગીએ તો અમેરિકાનાં ઘણાં સ્ટોરમાં તાજા દહીં અને છાશનું મહત્ત્વ વધારેલું, પણ દહીં-છાશ સાથે બેન્ક ઓફ બરોડાને શું લેવાદેવા? જરૂર લેવાદેવા છે.
અમે ૧૯૫૨માં મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રથમ કોમર્સ ગ્રેજયુએટ થયા તેના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ છાશના શોખીન હતા. અમારા હોસ્ટેલના કોન્ટ્રાક્ટર સાથે વાનગીની શરતોમાં છેલ્લે મોળી છાશ પીરસવાની ખાસ શરત રહેતી, પરંતુ તાજું કનેકશન એ કે મુંબઈમાં કાંદિવલીમાં બેન્ક ઓફ બરોડાની શાખાના મેનેજર તરીકે કીર્તિકુમાર આશર આવેલા ત્યારે તેમણે માન્યામાં ન આવે તેવો રિવાજ દાખલ કર્યો. જે મહેમાન આવે કે નવું સેવિંગ્ઝ ખાતું ખોલાવે તેને તાજા મોળા દહીંની છાશ કે ઘોળવું પિવરાવાતું! ઉનાળાના દિવસો આવે એટલે જરૂર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) અને બેન્ક ઓફ બરોડા યાદ આવે.
આજે તો બેન્ક ઓફ બરોડા ભારતની સૌથી મોટી ત્રીજા નંબરની જાહેરક્ષેત્રની બેન્ક છે. (પ્રથમ સ્ટેટ બેન્ક અને બીજે નંબરે પંજાબ નેશનલ) અને ૨૨૭૪ અબજ રૂપિયાની અસ્કામતો અને રૂ. ૧૭૭૫૪ કરોડની વાર્ષિક આવક સાથે ૩૭૦૦૦ જેટલા કર્મચારીઓ જગતભરની શાખામાં કામ કરે છે, પણ ૧૯૦૮માં સયાજીરાવે ગુજરાત -વડોદરાના વ્યાજખાઉ શાહુકારોથી થાકીને બેન્ક સ્થાપી ત્યારે તેની શેરમૂડી માત્ર રૂ. ૨૦ લાખ હતી.
૨૦૦૦૦ શેરો માત્ર વડોદરાની પ્રજાને ઓફર કરાયા ત્યારે અમરેલી ગાયકવાડનું હતું ત્યાંના આપણા જીવરાજ મહેતાના વડીલો અને બીજા કપોળો અને ખેડૂતોએ અરજી કરીને ૨૦૦૦૦માંથી માત્ર ૧૩૦૦૦ જ શેરો લીધા હતા. મહારાજાએ વડોદરાની મુખ્ય કોર્ટ નજીક જ તેમનું મકાન રાખેલું. આજે વડોદરાને બદલે મુંબઈમાં બેન્કની વડી કચેરી છે. પણ ખરેખર બેન્ક ઓફ બરોડાના ઇતિહાસમાં વડોદરાના વાચકોને ખાસ રસ પડશે તેવી થોડીક માહિતી છે.
આજે શરદ પવાર કે સોનિયાની કોંગ્રેસને કે લાલકૃષ્ણ અડવાણી કે નરેન્દ્ર મોદીની સરકારને મોટા ઉદ્યોગપતિઓ પોષે છે તે વાત 'આગુએ ચલી આતી હૈ' એક જમાનામાં પૂનાના પેશ્વાના હાકોટા છેક વડોદરાના મહારાજા નાનાજી ગાયકવાડનાં હૃદયનાં ધબકારા થંભાવી દેતા. પેશ્વાને ખંડણી ભરી ભરીને નાનાજી દેવાદાર ગુજરી ગયા ત્યારે વડોદરાની ગાદી જાળવવા ગોવિંદરાવ ગાયકવાડે પેશ્વાને રૂ.૧.૧૨ કરોડ ભરવાના થયા.
ગોવિંદરાવ પાસે તો રાતી કોડી નહોતી એટલે હરિભક્તિ શ્રોફ નામના ગુજરાતી શાહુકારે ગાયકવાડને આટલી રકમ ધીરીને ગાદી સલામત રખાવી હતી. એ પછી અમારી યુનિવર્સિટી જેના નામે થઈ છે તેનાં પિતા સયાજીરાવ બીજા ગાદીએ આવ્યા ત્યારે કોણ જાણે તેણે ગુજરાતી વાણિયાનાં ગોળાનું પાણી પીધું હશે એટલે તેમણે હરિભક્તિ શ્રોફની મદદથી ૧૯૨૯માં ૮૧ વર્ષ પહેલાં 'ગણેશ ઈશ્વર બેન્ક' સ્થાપી એમના પછીના રાજા ખંડેરાવ (જેમના નામ પરથી વડોદરામાં સુંદર શાકમાર્કેટ ચાલે છે.) વધુ ચકોર નીકળ્યા. તેમને મુસ્લિમ ગવૈયા-ગાયિકાને સાંભળવાનો શોખ હતો. ખરેખર તે સાચા સેક્યુલર હતા. કેટલાક મુસ્લિમો-ગુજરાતીઓની મદદથી તેમણે ત્રણ બેન્કો રચી.
તેનાં નામ 'કુતુબ રૂબાન''મોલીઅલી' અને 'મહેબૂબ-સુભાની'બેન્ક રાખ્યાં. આપણી કોંગ્રેસનું સેક્યુલરિઝમ બનાવટી છે, પણ ગાયકવાડ સાચા સેક્યુલર હતા. તેમણે છેલ્લી બે બેન્કોના નામ રાખીને તેમણે ગાયિકારૂપ સુંદરીને રીઝવી હતી. ખંડેરાવ પછી તેમના ભાઈઓ ઉડાઉ નીકળ્યા. તે પોતે નિ:સંતાન હતા. ઉડાઉ ભાઈઓને-દિયરોને ખંડેરાવના વિધવાએ કાઢી મૂકયા અને ખાનદેશના ગામડેથી ૧૩ વર્ષની વયના એક ગરીબ ગાયકવાડનો દીકરો ખોળે લીધો. તે ટીનેજર ગાયકવાડનું નામ 'સયાજીરાવ ગાયકવાડ ત્રીજા રાખ્યું. કદાચ મહારાણી સાહેબ ગામડાના આ પુત્તરનાં જીન્સને પારખ્યાં હશે.
શિક્ષણપ્રેમી સયાજીરાવ ત્રીજાને માધવરાવ નામના બાહોશ દીવાન મળ્યા અને સયાજીરાવના સહકારથી વ્યાજખાઉ શાહુકારીનો વ્યાજ-વટાવનો ધંધો ઓછો કરવા ગુજરાતીઓની મદદથી બેન્ક ઓફ બરોડા સ્થાપી ગાયકવાડને અગાઉ હરિભક્તિ શ્રોફે મદદ કરેલી તેથી પૂના દરબારે તેમને એક ગામ બક્ષિસમાં આપેલું. બેન્ક ઓફ બરોડાના શેરો પૂરતા વેચાયા નહીં ત્યારે ફરી પાછા કિલાચંદ દેવચંદ નામના પાટણના ગુજરાતી વહારે આવ્યા.
આમ માત્ર રૂ. ૨૭ લાખની મૂડીથી બેન્ક શરૂ થઈ અને ત્યારે ઉનાળે કોઈ બેન્કમાં આવે તો તેનું દહીં-છાશથી સ્વાગત થતું! આજે જે સ્વતંત્ર ભારતની સરકાર નથી કરતી તે ગાયકવાડે કરેલું. નરેન્દ્ર મોદીને કેમ છાશ યાદ ન આવી? અમરેલીમાં બેન્કની શાખા સ્થપાઈ ત્યારે ખેડૂતના માત્ર હાથમુચરકા (અંગૂઠાની છાપ થકી) થકી જ રૂ.૧૫૦૦૦ સુધીની લોન એ જમાનામાં અપાતી. આજના રૂ. ૧૫ લાખ થયા!
શરૂમાં ૧૯૦૮માં સયાજીરાવ થોડા મજબૂર એ વાતમાં હતા કે બેન્કના મેનેજર તરીકે ચાલ્ર્સ રેન્ડલ નામના કપાતર-અંગ્રેજને નીમવો પડ્યો. તે વખતના દીવાન દાદાચાનજી તો કોઈ ગુજરાતીને મેનેજર બનાવવા માગતા હતા. આ રેન્ડલ દારૂનો શોખીન હતો. તેનો પગાર સતત વધારીને રૂ. ૭૦૦માંથી રૂ. ૩૦૦૦ કર્યો ત્યારે સ્ટાફને માંડ મહિને રૂ. ૩૦થી રૂ.૧૫૦ મળતા.
આખા હિન્દુસ્તાનમાં ફરો પણ છેક ૧૯૫૨ સુધી વડોદરા જેવી ઘોડાગાડી કયાંય નહોતી. દરેક ઘોડાગાડીવાળાને તાકીદ હતી કે ઘોડાગાડી અને ઘોડાને શણગારેલા (તેમજ તગડા) રાખવા અને ગાડીની અંદરનાં ગાદીતકિયાના કવર સફેદ રાખી રોજે ધોવરાવવા. આખરે ચાલ્ર્સ રેન્ડલના પાપ ભરાયા. તેણે ઘણાં કૌભાંડ કર્યા તેથી મહારાજાએ કિલાચંદ દેવચંદને બેન્કના ચેરમેન બનાવ્યા. એ પછી કેટલાય ચેરમેનો 'ગઈકાલ' સુધી ગુજરાતી હતા.
મુંબઈની શાખાના આસિ.મેનેજર જવાહર દોલતજાદા સયાજીરાવ યુનિ.ના કોમર્સ ગ્રેજયુએટ હતા. ૪૧ વર્ષ પહેલાં બેન્કનું રાષ્ટ્રીયકરણ થયા પછી આજે કેટલીક બેન્કોના મેનેજરોએ કૌભાંડ કર્યા છે, પણ આ સરખામણીએ બેન્કની બોલબાલા છે. ૪૨ જેટલી શાખાઓ પરદેશમાં ન્યૂ યોર્ક, લંડન, દુબઈ, હોંગકોંગ, બ્રર્સેલ્સ, સિંગાપોર વગેરે જગ્યાએ છે. ૧૭ જેટલી પેટાશાખા કે સબસીડિયરી બોટસવાના કેન્યા, તાન્ઝાનિયા, મોબીયા, યુગાન્ડા, મલેશિયા, ચીન, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. કેમ આટલો બધા ફેલાવો અને બેન્ક તગડી કેમ? કાઠિયાવાડી તરીકે કહેવા દો કે તે તાજામોળા દહીંની છાશના પ્રતાપ છે.
No comments:
Post a Comment