| અલગને લગોલગ લાવે દ્વાર Source: Manas Darshan, Morari bapu આપણા દેશમાં બળવાન કરતાં શીલવાનનો મહિમા વધુ છે માટે વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય અને વાલી તમામ શીલવાન હોય તે જરૂરી છે. રાવણ જેવો રાવણ હનુમાનજીને કહે છે કે હું તારા બળને જોઇને તારાં વખાણ કરતો નથી પણ હું તારા શીલને જોઇને તારાં વખાણ કરું છું.
પ્રાચીન ભારતે ચાર પ્રકારના દરવાજાઓની ચર્ચા કરી છે. (૧) રાજદ્વાર (૨) નગરદ્વાર (૩) દેવદ્વાર (૪) ગુરુદ્વાર. માનસદર્શનમાં આજે આપણે આ ચારેય દ્વારને સમજવાનો પ્રયાસ કરીએ.
(૧) રાજદ્વાર : જૂના જમાનામાં માણસ રાજદ્વારમાં પ્રવેશ કરે એટલે એને બે વસ્તુ અવશ્ય મળતી હતી. એક ન્યાય મળતો અને બીજી નિર્ભયતા મળતી હતી. એકવાર રાજદ્વારમાં પ્રવેશી ગયા પછી કેવો ન્યાય મળતો એ જાણવા માટે ઈતિહાસનાં પ્úષ્ઠો ફેરવીએ તો અનેક દાખલાઓ મળે છે. હું તમને હજુ ગઇકાલના ભાવનગર સ્ટેટમાં બનેલી એક ઘટનાની યાદ અપાવું છું.
જોગીદાસ ખુમાણ નામનો બહારવટિયો ભાવેણા સ્ટેટ સામે બહારવટું ખેલે છે. જોગીદાસને પકડવા માટે સ્ટેટના સૈનિકો આકાશ-પાતાળ એક કરે છે છતાં જોગીદાસ પકડાતો નથી. આવા ખૂંખાર બહારટિયાને સમાચાર મળ્યા કે ભાવનગરનાં મોટા મહારાજાનું અવસાન થયું છે એટલે જોગીદાસ ખુમાણ માથે ફાળિયું ઓઢીને મહારાજાની શોકસભામાં ખરખરો કરવા આવે છે.
લોકો જોગીદાસ ખુમાણને ઓળખી જાય છે અને મહારાજાને જાણ કરે છે કે આપણે જેને પકડવા માટે આતુર છીએ એ તો બેસણામાં આવીને બેઠો છે. આપ હુકમ કરો એટલે પકડી લઇએ. ત્યારે ભાવનગરના રાજા બોલ્યા કે આજે એ મારા દુ:ખમાં સહભાગી થવા આવ્યો છે. આજે એ મારો દુશ્મન નથી પણ દોસ્ત બનીને આવ્યો છે. આજે એને પકડી ન શકાય. આ પ્રકારની રાજદ્વારની ખાનદાની હતી. રાજદ્વાર માણસને ન્યાય અને નિર્ભયતા પ્રદાન કરતો હતો.
(૨) નગરદ્વાર : નગરદ્વાર એટલે નગરમાં પ્રવેશ માટેના દરવાજાઓ. આ દરવાજાઓ એક કરતાં વધુ પણ હોય અને એ ખૂલવાનો અને બંધ થવાનો નક્કી થયેલો સમય રહેતો. નગરદ્વાર બંધ થઇ જાય પછી સવાર સુધી કોઇને પ્રવેશ મળતો નહીં, પરંતુ એકવાર નગરદ્વારમાં પ્રવેશી જાય એને બે વસ્તુ મળતી હતી. એને આશ્રય અને આહાર આપવામાં આવતો હતો. અજાણ્યો માણસ હોય એને પણ આશ્રય મળે અને એની ભોજનની વ્યવસ્થા નગર કરે એવી એક રૂડી પરંપરા હતી.
(૩) દેવદ્વાર : દેવદ્વાર એટલે કોઇ તીર્થનું દ્વાર અથવા કોઇ મંદિરનું દ્વાર. આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઇપણ દેવદ્વારમાં પ્રવેશો એટલે બે વસ્તુ અવશ્ય મળે. એક દર્શન અને બીજી પવિત્રતા મળે. અત્યારે તીર્થસ્થાનોમાં ગંદકી, ગીચતા અને ગોકીરો જોવા મળે છે. તે માટે નિમિત્ત આપણે છીએ, પરંતુ થોડી અવ્યવસ્થા વચ્ચે પણ જે તે તીર્થસ્થાનનાં દર્શનનું મહત્વ એ સ્થાનની ગરિમા અને એ સ્થાન પ્રત્યેની યાત્રાની અટલ શ્રદ્ધા આપણને સ્પર્શે છે.
(૪) ગુરુદ્વાર : ગુરુદ્વાર એટલે આપણા ગુરુનો જ્યાં વાસ છે તે સ્થાનને ગુરુદ્વારા કે ગુરુદ્વારો કહેવાય છે. જૂના જમાનામાં ગુરુકુળ, તપોવન, પાઠશાળા એવાં નામ હતાં અને અત્યારે શાળા, મહાશાળા કે વિશ્વવિદ્યાલય જેવાં નામ હોય છે પણ એ તમામ ગુરુદ્વાર છે.
ઉપરનાં ત્રણે દ્વારની માફક ગુરુદ્વારમાં પણ બે વસ્તુ મળે છે એક શિક્ષણ અને બીજા સંસ્કાર. કોઇ કલા કે સાહિત્યનો છાત્ર પોતાના ગુરુદ્વારમાં પ્રવેશે ત્યારે એને કલા કે સાહિત્યનું શિક્ષણ મળે છે અને કોઇ તબીબી કે ઇજનેરી ક્ષેત્રનો છાત્ર પોતાના ગુરુદ્વારમાં પ્રવેશે ત્યારે એને તેના ક્ષેત્રનું શિક્ષણ મળે છે. ટૂંકમાં શિક્ષણ અને સંસ્કાર બંને આપે તે ગુરુદ્વાર છે. માત્ર ડિગ્રીને મહત્વ આપીને એકલું શિક્ષણ મળશે તો સમાજમાં માણસ કરતાં માર્કશીટનું મૂલ્ય વધી જશે. એમ ન થાય એટલા માટે દરેક ગુરુદ્વારમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ મળે તે વધુ ઇચ્છનીય છે.
ભારતીય સંસ્કૃતિ દ્વારની સંસ્કૃતિ છે. દીવાલ માણસને માણસથી અલગ કરે છે અને દરવાજો બે અલગ માણસને લગોલગ લઇ આવે છે. દીવાલ જેને નોખા પાડે છે તેને દરવાજો નોખામાંથી અનોખા બનાવે છે. આદિ શંકરાચાયેg વેદાન્તમાં બીજા ચાર દરવાજાની વાત કરી છે. જો એ ચાર દરવાજા શિક્ષણ ક્ષેત્રમાં આવી જાય તો દરેક શાળા ગુરુદ્વાર બને. દરેક શિક્ષક ગ્રંથિ બને અને દરેક પુસ્તક ગ્રંથનો દરજજો પામે. શંકરાચાર્યજીએ દર્શાવેલા ચાર દરવાજા નીચે મુજબ છે.
(૧) શીલ: અહીં શંકરાચાર્યજી અને તુલસીદાસજીના વિચારોમાં રહેલી સામ્યતાનું દર્શન થાય છે. મહાત્મા તુલસીદાસજીએ પણ શીલ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. આપણા દેશમાં બળવાન કરતાં શીલવાનનો મહિમા વધુ છે માટે વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય અને વાલી તમામ શીલવાન હોય તે જરૂરી છે. રાવણ જેવો રાવણ હનુમાનજીને કહે છે કે હું તારા બળને જોઇને તારાં વખાણ કરતો નથી પણ હું તારા શીલને જોઇને તારાં વખાણ કરું છું. માટે મારા દેશની તમામ શાળાઓ તથા તમામ ગુરુદ્વારમાં શીલનો દરવાજો ક્યારેય બંધ ન થાય એવી પ્રભુ-પ્રાર્થના.
(૨) સંતોષ : બીજો દરવાજો સંતોષ છે. આપણે સંતોષનો બહુ ટૂંકો અર્થ કરીએ છીએ. આપણી આળસ, આપણી અણઆવડત કે આપણી નિષ્ક્રિયતાથી કંઇક ઓછું મળે તો એનાથી સંતોષ છે એમ કહીને કામચોરી અથવા પ્રમાદને પ્રોત્સાહન આપતા હોય એવું લાગે છે.
સંતોષનો શાસ્ત્રીય અર્થ એવો છે કે આપણે કર્મ કરવામાં જરા પણ કરકસર ન કરીએ. કર્મ પૂરેપૂરી નિષ્ઠાથી કર્યાનો આપણને ઓડકાર આવી જવો જોઇએ અને આ રીતે સાચા હૃદયથી કર્મ કર્યાનો બદલો જે મળે તેનાથી સંતોષ રાખવો તે સંતોષની સાચી વ્યાખ્યા છે. કોયલને કોઇકે પૂછ્યું કે તું આવું સરસ ગાય છે છતાં કોઇ તને પીંજરામાં પૂરતું નથી અને પોપટને પાળે છે એનું શું કારણ છે? ત્યારે કોયલ બોલી કે અમે જે કંઇ બોલીએ છીએ તે મૌલિક બોલીએ છીએ અને પોપટ જે બોલાવો તે બોલે છે અથવા એને પઢાવેલું બોલ્યા કરે છે, પરંતુ અમને કોઇ પાળે કે ન પાળે પણ અમને અમારા કંઠથી સંતોષ છે. અમને અમારા ગાયનથી સંતોષ છે. આવો સંતોષ દરેક માણસને પોતાના કર્મનો હોય ત્યારે જીવન સફળ થયું ગણાય.
(૩) વિચાર : આપણે ત્યાં એમ કહેવાય છે કે વધુ પડતા વિચારોથી માણસને વિચારવાયુ થાય છે અને આ બીમારી ઘણીવાર પાગલપન નોંતરે છે. તો એની સામે બિલકુલ વિચાર ન કરનાર માણસની ગણતરી મૂરખમાં થાય છે માટે માનવી પાસે સમ્યક વિચાર હોય તે જરૂરી છે. આ દેશનો દરેક માણસ વિચારશીલ હોય તે અનિવાર્ય છે.
રામાયણમાં સુગ્રીવ વિચાર કરે છે પણ વિચારને આચરણમાં મૂકવામાં ઘણો સમય વિતાવે છે જ્યારે હનુમાનજી વિચારને તરત જ આચરણમાં મૂકી બતાવે છે. ઘણા લોકો માત્ર વિચાર જ કરે અને કર્મ ન કરે તે પણ યોગ્ય નથી. માટે માનવી વિચારવાન બને અને સાથે કર્મશીલ પણ બને તે ત્રીજા દ્વારનો સંકેત છે.
(૪) સાધુસંગ : દરેક શિક્ષક અથવા દરેક ક્ષેત્રનો ગુરુ સાધુચરિત હોવો જોઇએ. હવે સવાલ એ થાય કે સાધુચરિત કોને કહેવો તો મારી જવાબદારી સાથે વ્યાખ્યા કરું તો જે માણસ ક્યારેય કોઇનું અહિત કરતો નથી.
ભગવાન શંકરાચાર્યજીએ વેદાન્ત માટે આ ચાર દરવાજા કહ્યા છે. જે માણસમાં શીલ હોય, સંતોષ હોય, વિચાર હોય અને સાધુનો સંગ હોય તે વેદાન્તને પામી શકે, સમજી શકે અને મેં અગાઉ જે ભારતીય પ્રાચીન પરંપરા જે ચાર દ્વારનું મહાત્મ્ય કરે છે તે ચારે-ચાર દરવાજા એટલે કે રાજદ્વાર એટલે રાજકારણ, નગરદ્વાર એટલે કોર્પોરેશન, દેવદ્વાર એટલે ધર્મકારણ અને ગુરુદ્વાર એટલે શિક્ષણમાં પણ શંકરાચાર્યજીએ કહેલા ચાર દ્વારનું નિર્માણ થાય તો સાચા અર્થમાં રામરાજ્યની સ્થાપના થાય તેમાં શંકા નથી.
(સંકલન : જગદીશ ત્રિવેદી)
માનસદર્શન, મોરારિબાપુ |
No comments:
Post a Comment