ક્યારેક થાય છે કે આ કવિઓ શું ખાઈને લખતા હશે?
સિંદબાદ કહે છે કે કેટલાક કવિઓ ખાઈને નહીં પણ પીને લખતા હોય છે. જો પીવાથી જ કવિતા લખાતી હોત તો... તો? ઠેર-ઠેર કવિઓ મળી રહેતા હોત. શેખાદમે લખ્યું હતું કે 'બધા જ ઝેર પીનારા શંકર નથી હોતા.' તેમ બધાં જ પીનારા કવિ નથી હોતા. શંકરસિંહે કેશુબાપાની સરકાર ઊથલાવી, (સુરેશભાઈ તો ભાજપના વેન્ટીલેટર પર રાખેલા મુખ્યમંત્રી હતા) ત્યારે અમે લખેલું કે કેટલાક ઝેર પાનારા પણ શંકર હોય છે.
પણ ક્યારેક ખરેખર થાય છે કે માય ગોડ, કવિએ બે પંક્તિમાં કેવી કમાલ કરી છે! ત્યારે કોઈ બોલી જાય કે કવિએ શું ખાઈને લખ્યું હશે? બકુલ ત્રિપાઠીએ એકવાર ચણા ઉપર લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચણા એ કપિ અને કવિનો ખોરાક છે. એ રીતે કવિ શું ખાઈને લખતા હશે તે કુતૂહલનો જવાબ પણ તેમણે આપેલો.
કવિ રાજેન્દ્રકિશનનો એક પ્રસંગ મને ખબર છે એ યાદ આવે છે. મારા 'કઝીન' બહાર ફિલ્મ્સમાં ત્યારે પ્રોડક્શન કન્ટ્રોલર હતા. એ કંપનીના માલિક હતા હરકિશન, જેઓ કવિ રાજેન્દ્રકિશનના ભાઈ થાય. મારા કઝીન હતા ચંદુભાઈ ત્રિવેદી પણ કવિ રાજેન્દ્રકિશનથી ઘણાં પરિચિત. બહાર ફિલ્મ્સ વાળા ત્યારે 'પતંગ' ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. કવિ રાજેન્દ્રકિશન તેના ગીત લેખક હતા.
કેટલાક લોકો ફિલ્મ સાથે સંકળાયેલા કવિઓને કવિ ગણતા નથી પણ ફિલ્મોમાં પણ ઘણા ઊંચા ગજાના કવિઓ હતા અને છે. રાજેન્દ્રકિશન પણ એક 'ગોડ ગિફ્ટેડ' કવિ હતા. ફિલ્મ અનારકલીનું 'યે જિંદગી ઉસીકી હૈ જો કીસી કા હો ગયા..'નું માધુર્ય આજે પણ વીસરાતું નથી. ફિલ્મ 'અલબેલા'માં તેમણે લખેલ 'લૉરી'- નિદ્રાગીત 'ધીરે સે આના અખિયનમેં નીંદીયા'. આજે પણ નંબર વન આપવો પડે તેવું 'નિદ્રાગીત' છે. ઘણા ઊંચા ગજાના કવિ. આ કવિરાજ એકવાર બપોરે દાદરની બહાર ફિલ્મ્સની ઓફિસ રૃપતારા સ્ટુડિયોમાં પહોંચી ગયા અને મારા 'કઝીન' ચંદ્રકાન્ત ત્રિવેદીને કહે 'અરે ત્રિવેદીજી, મેરા પૈસા કુછ બાકી હૈ - દે દો યાર..' મારા ભ્રાતાએ કહ્યું 'કિશનસા'બ આપ કો તીસ હજાર રૃપિયા દેતા હે, મગર અભી ભી આપને ટાઈટલ સોંગ લીખ કે નહીં દીયા હૈ. વો ભી લીખ દો તો મહેરબાની હોગી, કામ રૃકા હુઆ હૈ.'
કવિએ છત ઉપર નજર કરી કહ્યું 'ઠીક હૈ ત્રિવેદીજી ટાઈટલ સોંગ મૈ અભી લીખ દેતા હું, આપ પૈસા ગીનના શરૃ કર દો.' પછી કવિ મૂડમાં આવી ગયા અને શરત ફેંકી. 'ત્રિવેદીજી આપ પૈસા ગીનો ઔર મેં ગીત લીખના શરૃ કરતા હૂં, આપ પૈસા ગીનના પૂરા કરો, ઉસકે પહલે મેં ગીત પૂરા કરતા હૂં, અગર આપને પૈસે ગીન લીયે ઔર તૈયાર કર દીયે ઉસકે પહેલે મેં જો ગીત ન લીખ શકું તો મૂઝે પૈસા મત દેના.' વ્હોટ અ ચેલેન્જ!! કવિએ જાતે જ ફેંકેલો પડકાર. આટલું બોલ્યા પછી રાજેન્દ્રકિશને ખિસ્સામાંથી ગોલ્ડ ફ્લેકનું પાકીટ કાઢયું, તેમાં એક જ સિગારેટ હતી. એ છેલ્લા પ્યાલાની જેમ પાકિટની છેલ્લી સિગારેટ ચેતાવી, અને છત તરફ જોઈ વિચારવા લાગ્યા. કવિ શું પીને કવિતા લખે છે એવા પ્રશ્નનો જવાબ આમાંથી મળે કે કવિ સિગારેટના ખોખાને એમણે ફાડીને એની ઉપર જ ગીત લખવાનું શરૃ કરી દીધું. ચંદ્રકાન્ત ત્રિવેદીએ ત્રીસ હજાર રૃપિયા ગોઠવીને ગણીને તૈયાર કરી કવિને હાથમાં મૂક્યા એ પહેલાં કવિએ 'પતંગ' ફિલ્મનું ટાઈટલ સોંગ લખીને આપી દીધું. કવિએ શરત પાળી બતાવી, પૈસા ગણાયા પહેલાં ગીત પૂરું લખી નાંખ્યું. એ ગીત શોખીનોને આજે પણ યાદ છે. 'એ દુનિયા પતંગ નીત બદલે એ રંગ, કોઈ જાને ન જાને ઉડાનેવાલા કૌન હૈ?' ચંદુભાઈ ત્રિવેદીએ કહેલું કે 'તમે પૈસા ગણો હું એ પહેલાં ગીત પૂરુ કરું, કવિની આ અદા ઉપર જ આફરીન થઈ જવાય.'
એક જ પળમાં આધ્યાત્મ ભાવથી ભીતરની પંક્તિઓ કવિએ કહી દીધી.
આપણી પાસે કવિઓ છે, અને કવિઓ પાસે અજબગજબની વાતો. એક બે પંક્તિમાં જ કહી દેવાની કમાલ છે.
'નહીંતર જીવન તો માર્ગ છે ઘરથી કબર સુધી...' બેફામસાહેબે ટૂંકાણમાં જ કેટલો મોટો મર્મ જણાવી દીધો હતો.
આ પંક્તિએ કવિને બેફામ દાદ અપાવી હતી. લોકો ઉલરી પડયા હતા. ક્યા બાત હૈ.... ક્યા બાત હૈ...થી એ પંક્તિ આજે કવિને 'રિવાઈઝ' કરવાની હોય તો મને લાગે છે કે કવિ લખે કે નહીંતર જીવનનો માર્ગ છે હોસ્પિટલથી હોસ્પિટલ સુધી.
પાંચ-દસ રૃપિયાની બોલપેનથી ઘણી કિંમતી વાતો કવિ લખે છે. આપણા ગુજરાતી કવિઓએ પણ ઘણી ઘણી કમાલની પંક્તિઓ લખી છે એ રાજેન્દ્રકિશનની વાત કરતા યાદ આવે પણ એ મુશાયરો ક્યારેક કરીશું.....
સાંભળ્યા પ્રમાણે આપણા એક સુપરસોનિક નવલકથાકાર- હવાથી પણ વધુ ઝડપે ચાલનાર વિમાનને સુપરસોનિક કહે છે- તેમ આ નવલકથાકાર તેથી પણ વધુ ઝડપે લખતા. એકવાર તેમણે સાત દિવસમાં સાત નવલકથા લખી નાંખી હતી. સાચું હોય તો શાબાશ......
No comments:
Post a Comment