'તમારો આ દિયર લક્ષ્મણ તમને 'વનવાસે' નહીં, 'ગ્રામવાસે' સાથે રાખશે.' - નિષ્કલંક
વારંવાર બદલીના ત્રાસથી વ્રજેન્દ્રે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સરકારી નોકરીને 'અલવિદા' કહી પોતાના વતનમાં રહેવાનો નિર્ણય કર્યો. વ્રજેન્દ્રરાયનો શરદીનો કોઠો અને તેમની પત્ની સુમેધાને કમરનો સતત રહેતો દુઃખાવો. વ્રજેન્દ્રરાયની ઉમ્મર ૫૨ વર્ષની અને સુમેધાની ઉમ્મર ૫૦ની. પણ બન્નેને જોનારને લાગે કે એકની વય પંચોતેરની છે અને બીજાની વય તોંતેરની !
વ્રજેન્દ્રરાયને ખેતી-વાડીની સારી આવક હતી. એટલે નાના દીકરાએ ખેતીવાડી વિષય સાથે ગ્રેજ્યુએટની પદવી પ્રાપ્ત કર્યા પછી ગામડે રહીને ખેતી સંભાળવાનો નિર્ણય કર્યો હતો. નિષ્કલંક ઈચ્છતો હતો કે એનો મોટો ભાઈ મુગ્ધેન્દુ આઈ.એ.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મોટો ઑફિસર બને ! મોટાભાઈને કશી તકલીફ ન પડે એ માટે તેમને હૉસ્ટેલમાં રાખવાને બદલે પપ્પાજીને મનાવીને એક સ્વતંત્ર એપાર્ટમેન્ટ અને રસોઈયાની વ્યવસ્થા પણ નિષ્કલંકે ગોઠવી દીધી હતી. વ્રજેન્દ્રરાય હિસાબ-કિતાબમાં પાકા હતા એટલે ખેતી-વાડીની આવક-જાવકનો હિસાબ ઘ્યાનથી તપાસતા. નિષ્કલંક મુગ્ધેન્દુ માટે કરેલા તમામ ખર્ચને હિસાબમાં તેને નામે દેખાડવાને બદલે પોતાના નામે દર્શાવતો. ખર્ચનો મોટો આંકડો જોઈ વ્રજેન્દ્રરાય નિષ્કલંક પર રોષે ભરાઈને કહેતા ઃ ''દીકરા, તું રહ્યો તો ગામડે પણ મોજશોખના તારા ચસકા તો શહેરવાસીને પણ શરમાવી દે તેવા છે ! હજી તો તું કુંવારો છે, પરણ્યા પછી તો તું ખેતર-પાદરને ગીરો મૂકીને પણ તાગડધિન્ના કરવામાં પાછું વાળીને નહીં જાુએ. એટલો તો વિચાર કર કે પૈસા બચાવવા ખાતર તારો આ બાપ ત્રાસજનક બદલીઓ વેઠીને પણ આજ લગી નોકરી કરતો રહ્યો છે...તારા કરતાં તો મુગ્ધેન્દુ લાખ દરજ્જે સારો. એના નામે ભણતર સિવાયના બીજા કશા જ ખર્ચનો આંકડો હિસાબમાં જોવા મળે છે ?'' નિષ્કલંક પપ્પાજીનો ઠપકો ચૂપચાપ સાંભળી લેતો. એને ખબર હતી કે પપ્પાજીએ પોતાને જેવાં આકરાં વેંણ કહ્યાં, એવાં આકરાં વેંણ જો મુગ્ધેન્દુને કહ્યાં હોત તો એણે પપ્પાની આમાન્ય તોડી ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં પળનોય વિલંબ ન કર્યો હોત ! મુગ્ધેન્દુ એટલે અગનઝાળ. એની નજીક જનારને દઝાડે. સ્વભાવે જિદ્દી અને આત્મકેન્દ્રી. કોઈનુંય અહેસાન માનવાનું એને લેશમાત્ર રૂચે નહીં. ફૂંકી-ફૂંકીને ચાલવાનું એના જીવનકોશની બહાર હતું...મુગ્ધેન્દુના જીવનમાં કેવળ 'આજ'નું મહત્વ હતું ! આવતીકાલની એને ચિંતા નહોતી. એટલે આજનો આનંદ એ કશી રોકટોક વગર માણવામાં માનતો હતો. ઉઘ્ધતાઈને મુગ્ધેન્દુ પોતાનો સ્વભાવસિદ્ધ અધિકાર ગણતો હતો અને રૂઆબને પોતાના વ્યક્તિત્વનું અભિન્ન અંગ. એણે આઈ.એ.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું હતું, પણ કશીય ઉતાવળ વગર ! એ મોજશોખને ભોગે અભ્યાસને મહત્વ આપવા નહોતો માગતો. મિત્રોની મહેફિલમાં વાહવાહ ઝિલી છકી જવું એ મુગ્ધેન્દુની આદત બની ચૂકી. સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વ્રજેન્દ્રરાય અને સુમેધા પોતાને ગામ પાછાં ફર્યા. ત્યારે એમના આનંદનો પાર નહોતો ! મમ્મી-પપ્પાનું કથળી ગએલું સ્વાસ્થ્ય જોઈ નિષ્કલંકની આંખમાં આંસુ આવી ગયાં હતાં. એણે મનોમન નક્કી કર્યું હતું કે મમ્મી-પપ્પાની સાચા દિલથી સેવા કરવી અને મુગ્ધેન્દુના ઉત્કર્ષ માટે ગમે તેવું બલિદાન આપવા તૈયાર રહેવું. નિષ્કલંકે ફોન કરી મુગ્ધેન્દુને મમ્મી-પપ્પા ઘેર આવી ગયાના સમાચાર આપ્યા. નિષ્કલંકના હરખનો પાર નહોતો પણ મુગ્ધેન્દુએ કહ્યું ઃ ''આજકાલનાં વડીલોને વધારે પડતા આરામની આદત પડી ગઈ છે. નાની-નાની બીમારીઓથી કંટાળીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની પપ્પાજીએ જરૂરિયાત જ ક્યાં હતી ?...આજનાં મા-બાપો સંતાનો ઠરે એના કરતાં પોતે ઠરે એની વઘુ દરકાર રાખે છે. પપ્પાજીને કહી દેજે કે ખેતી-વાડીના કામમાં તને મદદ કરે ! ઘરને આપણે વૃદ્ધાશ્રમ નથી બનાવવું !... અને મમ્મી-પપ્પા કાયમ માટે ઘેર આવી જ ગયાં છે તો એમનાં 'દર્શન'નો લહાવો થોડો મોડો મળશે તો આકાશ તૂટી પડવાનું નથી ! મારી અનુકૂળતાએ આવી જઈશ. આવતાં અઠવાડિયે મારી ગર્લફ્રેન્ડ સુમોહિતાની બર્થ-ડે પાર્ટી છે. એ પછીને અઠવાડિયે મારા એપાર્ટમેન્ટ પર મિત્રોની એક સંગીત મહેફિલ રાખી છે. એ પછીને અઠવાડિયે મારા એક મિત્રનું મેરેજ એટેન્ડ કરવાનું છે. પછી નવરાશ હશે તો આંટો મારી જઈશ....અને હા, આઈ.એ.એસ.ની તૈયારીનું તો મારે માથે ટેન્શન હોય એ તું સમજી શકે છે ! આઈ.એ.એસ. બનવાનું કામ હળ કે ટ્રેકટર ચલાવવા જેટલું સહેલું નથી ! યાર ! તું ભાગ્યશાળી છે ! સરસ્વતીને સત્વરે સલામ કરીને નિશ્ચિંત બની ગયો છે !'' મુગ્ધેન્દુની વાતો સાંભળી નિષ્કલંક સ્તબ્ધ થઈ ગયો હતો. શું શહેરની સભ્યતા માણસના સંસ્કાર ધનની લૂંટારૂં છે ? ઉચ્ચ શિક્ષણ સંબંધની શાન અને સન્માન પર વજ્રપાત કરે તો એ વિદ્યા કહેવાય કે અવિદ્યા ?...નિષ્કલંક મનોમન વિચારી રહ્યો હતો. એણે વાત ટૂંકાવતાં કહ્યું ઃ ''ભાઈ, મેં તો તને જાણ કરી, બાકી મમ્મી-પપ્પાના આરામ અને સુવિધાઓમાં હું જરા પણ ઊણપ નહીં આવવા દઉં ! મા-બાપને સંતાનો સાથે આજીવન લેણાનો સંબંધ છે. એટલે એમના પ્રત્યેનાં કર્તવ્યો એ ઉપકાર નથી પણ આપણી પરના એમના કરજની અદાયગી છે ! હું રહ્યો ખેડૂત ! મારો આ સીધો ને સટ હિસાબ છે !'' ''નિષ્કલંક, તું એ લેણું જીવનભર અદા કરતો રહે, માત્ર તારા વતીથી નહીં, મારા વતીથી ! લાગણી, પ્રેમ, કર્તવ્યો, સેવા, અદબ જેવા છેતરામણા શબ્દોએ ભારતના યુવાનોને શોષિત કરવાનો સમાજને વણલખ્યો પરવાનો આપી દીધો છે ! તારા જેવા વેવલા યુવાનોને એવા શોષણને સમજવાની પણ સૂઝ હોતી નથી ! ભલે, તારા આદર્શો તને મુબારક !''- કહીને મુગ્ધેન્દુએ ફોન મૂકી દીધો. વ્રજેન્દ્રરાય દરરોજ નિષ્કલંકને પૂછતા, ભાઈએ ક્યારે આવવાનું કહ્યું છે ? તું કહે તો હું ફોન કરૂં ? મુગ્ધેન્દુને જોવા મારૂં મન અધીરૂં બની ગયું છે ! જોઉં તો ખરો કે આઈ.એ.એસ.થઈને મારો દીકરો ઑફિસર તરીકે કેવો રૂઆબદાર લાગશે ? નછૂટકે નિષ્કલંકે મુગ્ધેન્દુની એક મહિના સુધીની 'વ્યસ્તતા'નું ટાઈમટેબલ રૂપાળા શબ્દોમાં પપ્પાજીને જણાવી દીઘું હતું ! 'બિચારો મુગ્ધેન્દુ ! ભણતરના ભાર હેઠળ દટાઈને સુખ-શાન્તિને તરછોડી રહ્યો છે'- એમ વિચારી વ્રજેન્દ્રરાય અને સુમેધાદેવી દુઃખી થઈ જતાં ! આખરે મુગ્ધેન્દુ એક મહિના બાદ ઘેર આવ્યો. રૂઆબદાર કારમાંથી એ સુમોહિતા સાથે નીચે ઉતર્યો ત્યારે આખું ફળિયું એ બન્નેને જોઈ વિસ્મિત થઈ ગયું હતું ! વ્રજેન્દ્રરાયે કેટકેટલાં પુણ્ય કર્યાં હશે ત્યારે આવો 'મહાન' દીકરો તેમને મળ્યો ! 'ગૂડમોર્નંિગ મમ્મી-પપ્પા' કહીને મુગ્ધેન્દુ સીધો જ ઘરમાં પ્રવેશ્યો, પણ સુમોહિતા એવું 'સાહસ' ન કરી શકી. એણે બન્ને વડીલોને પ્રણામ કર્યા, એટલું જ નહીં ફળિયામાં ઉભેલાં સહુને 'નમસ્તે' કહ્યું, એટલે ગ્રામજનો એના સંસ્કાર પર આફરીન થઈ ગયાં ! ''નિષ્કલંક, મારો બેડરૂમ તૈયાર છે...? મારે આરામ કરવો છે-'' મુગ્ધેન્દુએ કહ્યું... 'હા, ભાઈ, ચાલ ઉપરના ખંડમાં બઘું જ તૈયાર છે !' પલંગ પર ગાદલું, ભરત ભરેલી ચાદર, પીળચટો વીજળીગોળો, પાણીની માટલી અને પડદા વગરની ખુલ્લી બારીઓ જોઈ મુગ્ધેન્દુએ કહ્યું ઃ ''નિષ્કલંક, તેં મને ધર્મશાળામાં રહેવા લાયક મુસાફર માની લીધો લાગે છે ! આવા ઢંગધડા વગરના રૂમમાં મારો શ્વાસ રૂંધાય છે ! કાલે જ હું પાછો ચાલ્યો જઈશ !...અને હા, સુમોહિતાનો રૂમ પણ આવો જ હશે ને ?...મને જરા બતાવ, પછી એને ઉપર બોલાવજે.'' ''સુમોહિતા તો મમ્મીના ઓરડામાં બેઠાં-બેઠાં મમ્મી સાથે વાતો કરે છે ! તેમણે તો જાહેર કરી દીઘું છે કે તેઓ મમ્મીની સાથે જ તેમના ઓરડામાં રહેશે. અલગ ઓરડામાં રહેવામાં તેમને રસ નથી !''- નિષ્કલંકે ચોખવટ કરી ! ''બિચ્ચારી સુમોહિતા ! બીજાું કરે પણ શું ? આ ઢોરવાડા જેવા વાતાવરણમાં તેને લાવવાનું મેં પાપ કર્યું છે ! મને શી ખબર કે મારો નાનો ભાઈ હજી પોતાનું ગામડી આપણું સાચવીને બેઠો છે !'' સુમેધાદેવીને યાદ હતું કે મુગ્ધેન્દુને નાનપણમાં શીરો અને મેથીના ગોટા ખૂબ જ ભાવતા હતા એટલે એમણે પૂરી અને દાળ, ભાત-શાક સાથે આ વાગનીઓને હરપપદુડા થઈને ભોજનમાં આગવું સ્થાન આપ્યું હતું ! પણ થાળીમાં શીરો અને ગોટા જોઈને જ મુગ્ધેન્દુએ મોં મચકોડતાં કહ્યું હતું ઃ ''મમ્મી, તારા હાથે હજી દેશી રસોઈની તાલીમ ટકાવી રાખી લાગે છે ! દુનિયા ક્યાંથી ક્યાં નીકળી ગઈ છે, પણ આપણાં દેશનાં ગામડાંનો શીરો, પૂરી ને ગોટા પીછો છોડતાં નથી !''
''અરે દીકરા, શીરો ને ગોટા તો બચપણમાં તારી પ્રિય વાનગીઓ હતી. મને એમ કે તું થાળીમાં આ બન્ને વાનગીઓ જોઈને ખુશખુશાલ થઈ જઈશ -'' સુમેધાદેવીએ ચોખવટ કરી હતી. 'અરે મમ્મી, બચપણની યાદો વાગોળવાનું અત્યારે કશું મહત્ત્વ ખરૂં ?....ભારતનાં ગ્રામવાસી માબાપોની આ જ ખાસીયત છે, તેમની વય વધે છે, પણ માનસ બદલાતું નથી ! મને આવું જૂનવાણી ખાણું નહીં ભાવે ! એમ કર, દૂધ અને ફ્રૂટસ મારા રૂમમાં મોકલાવી દેજે. એક રાત જ ગાળવાની છે-' મુગ્ધેન્દુએ ઉભા થતાં કહ્યું... ''પણ મને તો શીરો ને ગોટા બહુ જ ભાવે છે ! મારા દાદીમાની આ બન્ને વાનગીઓમાં 'દાદાગીરી' હતી. સત્યનારાયણની કથા હોય તો શીરાના સ્પેશ્યાલિસ્ટ તરીકે દાદીમાને અમારા કસ્બામાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવતું ! હું તો આજે પેટ ભરીને જમીશ.''- સુમોહિતાએ હસતાં-હસતાં કહ્યું હતું ! અને ઘરનાં સહુ ખુશખુશાલ થઈ ગયાં હતાં. જીભ તો દરેકને મળી છે પણ જીભે-જીભે કેટલો ફેર ! એક જીભ અમૃતવર્ષા કરે અને બીજી જીભ ઝેર ઓકે ! કડવી જીભ એ કેટલાક લોકો માટે એક અસાઘ્ય રોગ સમાન હોય છે ! અને બીજે દિવસે સવારે મુગ્ધેન્દુએ જવાની તૈયારી કરી હતી...પણ સુમોહિતા ઘરનાં સહુનો પ્રેમ જોઈ ગદ્ગદ થઈ ગઈ હતી. એ રોકાઈ જવાના મૂડમાં હતી. પણ મુગ્ધેન્દુનો મનોભાવ પારખી એ ચૂપ રહી ! ઘરનાં સહુએ મુગ્ધેન્દુને એક અઠવાડિયું રોકાઈ જવાનો આગ્રહ કર્યો, પણ મુગ્ધેન્દુએ કહ્યું ઃ ''હું ઑફિસર બન્યા પછી અલ્ટ્રામોડર્ન 'ફાર્મ હાઉસ' બનાવીશ, આપણા જ ગામમાં, આપણા જ ખેતરમાં ! આ 'વજ્રેન્દ્ર નિવાસ'માં મારો આત્મા મુંઝાય છે !'' અને સુમોહિતા સાથે મુગ્ધેન્દુ વિદાય થયો હતો. એના ગયા પછી વ્રજેન્દ્રરાય છુટ્ટા મોંઢે રડ્યા હતા ! એમને આવતી કાલે શહેરમાં ઑફિસર પુત્રના બંગલે રહેવાનાં પોતાનાં અરમાન ભસ્મીભૂત થતાં લાગ્યાં હતાં ! નિષ્કલંકનું મસ્તક ચૂમતાં એણે કહ્યું હતું ઃ ''દીકરા, કાલે તું અમારે સહારે હતો, આજે અમે તારા સહારે છીએ !'' અને નિષ્કલંકે મમ્મી-પપ્પાને આશ્વાસન આપ્યું હતું...સુમેધાદેવી મુગ્ધેન્દુ પ્રત્યેનો પોતાનો રોષ ઠાલવવા ઈચ્છતાં હતાં, પણ નિષ્કલંકે મુગ્ધેન્દુનો બચાવ કરી તેના હૃદયમાં મમ્મી-પપ્પા પ્રત્યે કેટલી બધી લાગણી છે, એની કલ્પિત વાતો કરી હતી અને એમને શાન્ત પાડ્યાં હતાં.
સુમોહિતાના સાદગીમઢ્યા રૂપ પર મુગ્ધેન્દુ ફીદા હતો. સુમોહિતાનાં મમ્મી-પપ્પા પણ મુગ્ધેન્દુ જેવા 'ભાવિ અધિકારી'ને હાથથી જવા દેવા નહોતાં માગતાં...એટલે સુમોહિતાનાં મમ્મી-પપ્પાએ મુગ્ધેન્દુનાં મમ્મી-પપ્પાને ફોન કરી તેમના પુત્રનો હાથ સુમોહિતા માટે માગવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી.
સુમોધાદેવી, વ્રજેન્દ્રરાય અને નિષ્કલંકને તો આ પ્રસ્તાવ 'ભાવતું'તું ને વૈદ્યે કહ્યું જેવા લાગ્યો અને એમણે લીલી ઝંડી આપી દીધી !
મુગ્ધેન્દુને એમણે પોતાને બંગલે બોલાવી તેનાં મમ્મી-પપ્પાએ સુમોહિતા સાથે તેની સગાઈની વાતને વધાવી લેવાના સમાચાર આપ્યા. ત્યારે પણ મુગ્ધેન્દુ પોતાનું અભિમાન વ્યક્ત કરવાનું ન ચૂક્યો. એણે કહ્યું ઃ ''તમે ફોર્માલિટી કરી એટલે મારે કશું કહેવાનું નથી ! લગ્ન જેવા અંગત નિર્ણયમાં હું કોઈ 'સામાજિક એજન્સી'ની દખલને આવકાર્ય ગણતો નથી. ભલે પછી તે મમ્મી-પપ્પાની દખલ હોય કે ભાઈ-ભાભીની ! ભારતનાં લોકો સગાઈ અને લગ્નને ક્રમ વગરનો કાર્યક્રમ બનાવીને હરખાય છે ! એમાં સમય, શક્તિ અને અંગત સ્વતંત્રતાનો ભોગ લેવાય છે !''
''મુગ્ધેન્દુ, તમારા વિચારો પ્રગતિશીલ છે, પણ જીવનમાં માણવા જેવા પ્રસંગોનું આગવું મહત્ત્વ હોય છે ! વડીલોની વિધિઓમાં સામેલગીરી એ દખલ નહીં, પણ સમારંભની શાન ગણવામાં આપણને શું કામ કશો વાંધો હોવો જોઈએ ! ખેર ! પસંદ અપની-અપની, ખયાલ અપના-અપના !''- કહીને સુમોહિતાના પપ્પાએ વાત વાળી લીધી હતી ! મુગ્ધેન્દુના ગયા પછી સુમોહિતાનાં મમ્મી-પપ્પાએ તેને કહ્યું હતું ઃ ''દીકરી, મુગ્ધેન્દુને તું બરાબર સમજે તો છે ને ?''
''હા, પપ્પા, એ જીભનો છૂટો છે, પણ દિલનો સાફ છે ! જિંદગી વિશેના એના પોતાના આગવા ખ્યાલો છે પણ એ મારી સ્વતંત્રતાને નહીં જ છીનવે એની મને પૂરતી ખાત્રી છે !''- સુમોહિતાએ કહ્યું હતું... અને મુગ્ધેન્દુની ઈચ્છાને માન આપીને સુમોહિતાનાં મમ્મી પપ્પાએ કોર્ટની રાહે તેમનાં લગ્નના રજિસ્ટ્રેશનને અનુમોદન આપી દીઘું હતું !
સુમોહિતાએ લગ્ન પછી પોતાનાં સાસુ-સસરાને પોતાની સાથે રાખવાની જીદ પકડી હતી. આઈ.એ.એસ.ની પરીક્ષાની તૈયારી ચાલુ હોવાનું બહાનું કાઢી મુગ્ધેન્દુએ સુમોહિતાની વાતને ઉડાવી દીધી હતી...પણ લગ્નના સમાચાર મળતાં સુમેધાદેવી અને વ્રજેન્દ્રરાય આશીર્વાદ આપવા દોડી આવ્યાં હતાં. એમને મુગ્ધેન્દુ પર વિશ્વાસ નહોતો પણ સુમોહિતાની સમજદારી વિશે ભારોભાર માન હતું... સુમોહિતા પોતાનાં સાસુ-સસરાને ગામડે જવા દેવા ઈચ્છતી નહોતી. મુગ્ધેન્દુ કચવાતે મને સુમોહિતાની હઠને સહન કરતો હતો. એવામાં વ્રજેન્દ્રરાયને દમની બીમારી વધી જતાં તેઓ પથારીવશ થયા અને સુમેધાદેવીને કમર અને ધૂંટણની પીડા વધી જતાં એમનું હરવા-ફરવાનું પણ બંધ થયું... સુમોહિતા પોતાનાં સાસુ-સસરાની સેવા ખૂબ જ નિષ્ઠા અને આદર સાથે કરતી હતી. મુગ્ધેન્દુ કરતાં એનાં મમ્મી-પપ્પાનું વઘુ ઘ્યાન રાખતી હતી... પરિણામે ઘરમાં ભયાનક ઝઘડા શરૂ થઈ ગયા...મમ્મી-પપ્પાને પણ મુગ્ધેન્દુ અપમાનજનક શબ્દો કહેતો અને સુમોહિતાને પણ તેના પીયર મોકલી દેવાની ધમકી આપતો ! એણે બીજા શહેરમાં પોતાને મોટા હોદ્દાની નોકરીનું બહાનું કાઢી એપાર્ટમેન્ટ ખાલી કરવાની સુમોહિતાને સૂચના આપી અને મમ્મી-પપ્પાને ગામડે લઈ જવા માટે નિષ્કલંકને તેડાવી લીધો ! સુમોહિતાને આ બઘું એક તરકટ લાગ્યું એટલે એણે મુગ્ધેન્દુની વાતનો વિરોધ કર્યો અને ઉશ્કેરાએલા મુગ્ધેન્દુએ તમામ મર્યાદાઓ ઓળંગીને સુમોહિતાના ગાલ પર ધડાધડ ત્રણ તમાચા ચૉડી દીધા ! બીજે દિવસે મુગ્ધેન્દુ ઘર છોડીને અદ્રશ્ય થઇ ગયો ! એપાર્ટમેન્ટના માલિકને એણે ભાડુ ચૂકવી ચાવીઓ સોંપી દીધી હતી. એટલે ચોવીસ કલાકમાં એપાર્ટમેન્ટનો કબ્જો સોંપી દેવાની મકાન-માલિકે સુમોહિતા સહિત સહુને કડક સૂચના આપી. વણસેલી વાતની ખબર પડતાં સુમોહિતાના પપ્પા દોડી આવ્યા અને એપાર્ટમેન્ટનો કબ્જો તાત્કાલિક સોંપી નિષ્કલંકને તેનાં મમ્મી-પપ્પાને લઈને ગામડે જવાની ગોઠવણ કરી લેવા જણાવ્યું અને સુમોહિતાને પોતાની સાથે આવવા તૈયાર થવાની સૂચના આપી. મુગ્ધેન્દુનાં મમ્મી-પપ્પાએ પણ સુમોહિતાને તેના પીયર જવાની અનુમતિ આપી. ...પણ સુમોહિતાએ કહ્યું ઃ ''નિષ્કલંકભાઈ, એક વ્યક્તિ સંબંધને ગળે ટૂંપો દે એટલે એના અનુગામી બની એને રસ્તે ચાલવું એ સામાજિક અપરાધ છે...મુગ્ધેન્દુ ભલે પુત્રધર્મ ચૂકે, હું પુત્રવઘૂનો ધર્મ ચૂકવા માગતી નથી ! મારાં સાસુ-સસરાને હું સાથે રાખીશ.'' પરંતુ નિષ્કલંકે ભાભીને વંદન કરીને કહ્યું હતું ઃ ''ભાભી, મુગ્ધેન્દુભાઈ ભલે 'આઘુનિક રામ' બની દેવી જેવાં મારાં ભાભીને ઘરવટો આપે, પણ મારે મોડર્ન લક્ષ્મણ નથી બનવું ! જાનકી પિતા જનકનું ઘર છોડ્યા પછી વ્યથિત થઈને પીયર પાછાં ફર્યા નથી ! તમારો આ દીયર લક્ષ્મણ, તમને 'વનવાસે' નહીં મૂકી આવે, 'ગ્રામવાસે' સાથે રાખશે ! સુખ વહેંચવામાં નહીં, દુઃખ વહેંચવામાં ઝિંદાદિલી દેખાડવી એની મજા જ કાંઈ ઓર છે ! ચાલો, ભાભી, શહેર ત્યજી શકે, ગામમાતાનો ખોળો તો સદાય સહુને આવકારવા તૈયાર જ હોય છે !'' અને શહેરી સંસ્કારો હાર્યા હતા, ગામડું જીત્યું હતું ! પ્રકૃતિ ક્યારેય પ્રવંચક નથી બનતી. |
No comments:
Post a Comment